“કોરોનાનો ભય નેવે મુકાયો:-રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા માટે પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડતા જોવાલાયક સ્થળોએ કોરોનાની ગાઈડલાઇનનાં લિરે લિરા ઉડી ગયા હતા.કુદરતી સૌંદર્યનાં આસ્વાદમાં પ્રવાસીઓની ચીકાર ભીડ ભાન ભૂલી બેસી
![](https://krantisamay.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-21-at-9.06.36-AM.jpeg)
પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતાની સાથે જ ગિરિમથક સાપુતારા અનલોક થયુ છે.હાલમાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને કુદરતી સૌંદર્યને માણવા માટે છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળી રહયો છે.તેવામાં રવિવારે ગિરિમથક સાપુતારા ખાતેનાં જોવાલાયક સ્થળોમાં ટેબલ પોઈંટ, સનરાઈઝ પોઈંટ, સ્વાગત સર્કલ,બોટીંગ વ્યુ નજીક પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર ચિક્કાર ભીડની સાથે બખા થઈ જવા પામ્યા હતા.વધુમાં સાપુતારાનાં ટેબલ પોઈંટ અને સનરાઈઝ પોઈંટ સહિત સ્વાગત સર્કલ ઉપર પ્રવાસી વાહનોનો ખડકલો થઈ જતા પાર્કિંગ સહીત ઠેરઠેર સ્થળોએ ટ્રાફિક જામનાં દ્રશ્યો રેલાયા હતા.રવિવારે ગિરિમથક સાપુતારાની તમામ હોટલો,રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ઉપર હાઉસફૂલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલનો આસ્વાદ માણવા આવેલ પ્રવાસીઓની ભીડે કોરોનાની ગાઈડલાઇનનાં લિરે લિરા ઉડાડયા હતા.રવિવારે સાપુતારામાં ફરવા આવેલ પ્રવાસીઓએ કોરોનાનાં ભયને નેવે મૂકી માસ્ક સહિત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કર્યા વગર રીતસરની ભીડનાં ટોળા એકત્રિત કરી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રિત કરી હતી.ગિરિમથક સાપુતારા ખાતે અન્ય રાજ્ય સહિત મોટા શહેરોમાંથી હાલમાં પ્રવાસીઓ ઉમટી રહયા છે.જેમાં કોઈક સંક્રમિત પ્રવાસી તેનો ચેપ નાના ધંધાર્થી કે હોટલીયરનાં સ્ટાફમાં ફેલાવે તો આવનાર દિવસોમાં સાપુતારા કોરોનાની લપેટનાં ભરડામાં આવી જશે જેમાં બેમત નથી.વધુમાં હાલમાં કોરોનામુક્ત દિશા તરફ જઈ રહેલ ડાંગ જિલ્લાને સાપુતારા ખાતે આવતી પ્રવાસીઓની ભીડ કઈ ઘાતક લહેરમાં લઇ જશે તે પેચીદો પ્રશ્ન પણ ડાંગવાસીઓ માટે ચિંતાજનક બન્યો છે.જેથી ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા અનલોક સાપુતારાને ફરીથી થોડાક સમય માટે કડક નિયમોમાં લોકડાઉન કરે તે જરૂરી બની ગયુ છે..
![](https://krantisamay.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-21-at-9.06.35-AM.jpeg)
ગિરિમથક સાપુતારાથી શામગહાનને સાંકળતો 9 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભરમાર પ્રવાસી વાહનોનાં પગલે કલાકો સુધી ટ્રાફીક જામની સ્થિતિમાં ફેરવાયો.. ગિરિમથક સાપુતારા ખાતે આજે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડયુ હતુ. પ્રવાસીઓનાં ઘોડાપૂરનાં પગલે સાપુતારાથી શામગહાનને સાંકળતો 9 કિલોમીટરનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં બપોર પછી બન્ને સાઈડમાં લાંબી કતારો લાગવાની સાથે ટ્રાફીક જામની સ્થિતિ વણસી હતી.અહી માર્ગમાં ટ્રાફિક જામની સ્થિતિ વણસતા કલાકો સુધી પ્રવાસીઓ લોકડાઉન બન્યા હતા.અહી ટ્રાફિકને કાબુમાં કરવા માટે સાપુતારા પોલીસની ટીમનો પરસેવો નીકળી ગયો હતો.
![](https://krantisamay.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-21-at-9.06.35-AM-1.jpeg)
“વાહ રે કુદરત તે સાપુતારાની પ્રકૃતિનાં સૌંદર્યને છુટા હાથે તો વેર્યું છે.પરંતુ આ તે વેરેલા સૌંદર્યનાં કારણે આવનાર સમયમાં માનવ જાત મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે.જેની પ્રવાસીઓ સહિત સ્થાનિકોને ક્યાં ખબર છે.તારા પ્રકૃતિનાં સૌંદર્યનાં કારણે હાલમાં પ્રવાસીઓ ભીડ એકત્રિત કરી ભાન ભૂલી કોરોનાની ત્રીજી ઘાતક લહેરને આમંત્રિત કરી રહયા છે.જેનાથી તુ અજાણ નથી.પરંતુ સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓએ જાતે જ માસ્ક સહીત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી સુરક્ષિત રહેવાનું વચન પાળવામાં આવે તો પ્રકૃતિ અને માનવીનો સંગમ વિનાશ તરફ નહી પણ રોજગારીનાં વિકાસ તરફ વળશે…